Saturday, June 12, 2021

Taste The Thunder. છગનભાઇ-મગનભાઇને ગમતાગીતો આપણે રેડિયો પર સાંભળીએ,કહેવાતા સમાજની સાથે રહેવા આપણેં બકવાસ સિરીયલો જોઇએ,માટેજ છાપાઓ વાંચીએ,ચેનલો બદલી બદલી મસાલો મનમાં ભરી લઇએ. બસના ડ્રાઇવર ઓલ્ડ હીટ્સ સંભળાવી જાય અને આપણેં ન્યુ હીટ્સ સાથે રહેવા મથીએ. નવી બક્વાસ ફિલ્મો પણ જોવી પડે,નહિ તો આપણેં પાછળ રહી જઇએ, તો આપણે પછાત કહેવાઇએ. આપણું પોતાનું કહી શકાય તેવું આપણાંમાં કેટલું? આ પ્રશ્ન આપણેં આપણીં જાતને પુછવા જેવો છે.મૌલિકતાને બહાર લાવવા નિબંધમાળાના નિબંધો નહી ચાલે ભલેને તે ગમે તેટલા અલંકારીત હોય પણ તે ઉછીના છે. કોઇને ગમે કે ન ગમે પણ આ મારું સર્જન છે તેમ કહેતા પહેલાં ઘણી હિંમત કેળવવી પડે છે. ઉંડે-ઉંડે પણ આ કહેવાતી વ્યવસ્થા બદલવાની ઇચ્છા થતી હોય, કઇંક ખટકતું હોય,ક્યારેક કોઇ અંગત કારણો સિવાય, બીજાની તક્લીફ ને જોઇને એન્ટાસીડ દવાઓ લેવી પડે ત્યારે સમજવું કે આપણેં હજી જીવીએ છીએ. આ કામ કરે કોણ? જવાબ સદીઓથી જાણીએ છીએ અને એ છે- શિક્ષણ. સામાન્ય યુવાનો અને વિદ્યાર્થીઓનો ટેસ્ટ બદલવો પડશે. હાલમાં શિક્ષણ સાથે જોડાયેલાં લોકોની સમજણ અને જ્ઞાનની કક્ષાને ઉપર લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે તે સારી બાબત છે. હમણાં બારેક વર્ષ પૂર્વેના એક વિદ્યાર્થીને બસમાં મળવાનું થયુ મને કહે ભાઇ તમને એક ખાસ કારણે યાદ કરું છુ. તમે જે ગઝલો સાંભળતા એનો ચેપ મને પણ લાગ્યો છે. હવે સમજાય છે કે એક-એક શેરમાં કેટલું બધું કહેવાય જાય છે. આવું જાણીને મને આનંદ થયો કે મહેંદી હસન, ગુલામ અલી,જગજીત સિંગના કંઠે ગવાતી નીદાફાઝલી, ગાલિબ,ફરાઝ,ઝૌક વિગેરે ની રચનાઓ સાંભળવી એ પણ કોઇ ખરી પ્રાર્થનાથી ઉતરતું નથી. રહેમાન,લકી અલી,કૈલાશ ખૈર,હરીહરન વિગેરેને સાંભળતાં મન તરબોળ થઇ જાય છે. હરીપ્રસાદની વાંસળી હોય કે બિસ્મિલ્લા ખાનની શહેનાઇ,શિવપ્રસાદનું સંતુર હોય કે પંડિત વિશ્વમોહનનો ગિટાર આ બધું પોતાની જાતમાં ઉંડે ને ઉંડે લઇ જાય છે અને એ ખોવાઇ જવાની મજા છે. રંગ દે બસંતી માં પોતાની જાતને મૂકવાં નું મન થાય,તારેં ઝમીં પર થી સાચો શિક્ષક હલી જાય,વેનસડેના નસરુદ્દીન થી સાચી નિવૃત્તી નો અર્થ સમજાય,અંકૂશના નાના પાટેકરથી સળગી જવાય,ગાંધીના એટેનબરો અને સરદારનાં પરેશ રાવળ ના અભિનય માટે માન થઇ જાય અને ગાંધી,સરદારની વધુ નજીક જવાય. ભાવનગરથી ઢસા તરફ બસમાં આવતાં એક બારમાંમા ભણતાં વિદ્યાર્થી પાસે બેસવાનું થતાં આંબલા પાસેના ગામની નાનકડી કાચની દેરી બતાવી જટા હલકારાની વાત કરી એ વિરને યાદ કરતા છાતી ગજ ગજ ફુલી જાય છે. આગળ અમરગઢથી પસાર થતા રાવજી પટેલ યાદ આવ્યાં વગર કેમ રહે ? અને મન ઉદાસ થઇ જાય. અભ્યાસક્રમમાં ‘મારી આંખે કંકુના સુરજ આથમ્યાં’ કવિતા છે ,પણ એની અનુભૂતિ કોણ કરાવે? ર. પા. હોય કે મુકુલ ચોકસી,રાજેંદ્ર શુક્લ હોય કે ગિરીજાકુમાર માથુર એમને માણવાં જોઇએ એ કવિતાના કોઇ સવાલો કે જવાબો ન હોય એનાથી તો જીવનભરના સવાલોના જવાબો મળતાં રહે છે. સૌએ સારુ સારુ શોધી કાઢવાની ટેવને વિકસાવતા રહેવાની જ રહે છે અને મહેંદ્રભાઇએ આ કામ ઘણું આસાન કરી આપ્યું છે તેમની અર્ધી સદીની વાંચન યાત્રા દ્વારા.ગાંધીજી,વીનોબાજી,કાકા સાહેબ,ટાગોર,રવિશંકર મહારાજ વિગેરેનાં હ્દય સ્પર્શી પ્રસંગો, લેખો હ્દયને હચમચાવી વલોવી નાંખે છે. સુધામૂર્તિ, આઇ કે વિજળીવળા,હરિશ્ચંદ્રના પ્રસંગો વાંચતા જે હ્દય સ્પર્શ થાય છે અને સાચા માનવ બનવા તરફ બે ડગલાં આગળ જવાય છે તેજ સાચી કેળવણીં. જો આ બધાનો આસ્વાદ વિદ્યાર્થીને થશે તો તેમનામાં અમૃત અને ઝેર વચ્ચેનો વિવેક આવશે. સચ્ચાઇ, સંવેદનશીલતા,પ્રમાણિકતા,હિંમત,મૌલિકતા આવશે તો વ્યવસ્થા આપોઆપ બદલાઇ જશે. કેતન શુક્લ 9429315055