Saturday, January 9, 2010

શિક્ષણમાં શોષણ -કેતન શુક્લ
શિક્ષણની વાત આવે એટલે સારી સારી વાતો જ ચાલે, બાકી શોષણની વાતો સપાટી પર આવે ત્યારે થોડો સમય એ ન્યુઝ બની ,ચમકી થોડીવારમાં બુઝાય જાય, આમ આપણેં ફરી હતા ત્યાંને ત્યાં જ રહીએ. સુંદર શહેરોની નીચે ચાલતી ગટરોની જેમ આ શોષણની ગંદકી મુંગા મોઢે વહ્યા કરે છે. સપાટી ઉપરના જ બીજા એટલા પ્રશ્નો છે કે આ બધુ તો ઉજળુ લાગે. આપણને ચીનની દિવાલની ભવ્યતા ગમે પણ તેની પાછળની હિંસા અને શોષણ નહી,તાજમહલ માટે શાહજહાંને યાદ કરીએ પણ એ બનાવનાર કારીગરોનું કોઇ મૂલ્ય નહી. સાચા અને ખોટા ફુલોની પરખ આપણે ગુમાવતા જઇએ છીએ અથવા જાણીએ તો પણ કશું કરી શકતા નથી, કારણકે આપણે સજ્જન છીએ. આપણે પણ આ સિસ્ટમ રુપી મશીનનો એક ટુકડો છીએ, અને ટુકડે ટુક્ડે ભેગી કરેલી કહેવાતી જીંદગીને એકજ જાટકે બીજા માટે ગુમાવી દેવાની આપણી તૈયારી પણ નથી. માટે બધુ એમ ને એમ ચાલતુ રહે છે.
આજે આપણે જોઇએ છીએ છાશવારે શિક્ષણ અંગેના પ્રશ્નો છાપાઓ કે ટીવીમાં ચમકે છે. કેટલાક સાચા કેટલાક ઘડી કાઢેલા, બધુ જ ચાલે કારણ કે ન્યુઝ તો મસાલેદર હોવા જોઇએ. પણ ખરી રીતે ઉંડા ઉતરતા જણાશે કે આ એક વિકટ સમસ્યા છે અને બીજી અનેક સમસ્યાનુ મૂળ છે. સંવેદનહીન સમાજ ઘડતર તરફ આપણે જઇ ચુક્યા છીએ ત્યારે માત્ર થોથા કાયદાઓથી નહી ચાલે એ તરફ બે કદમ ચાલવાની હિંમત અને સમજણ પણ કેળવવી પડે તેમ છે. સૌપ્રથમ તો વાલી અને શાળા બન્નેનો સારુ પરિણામ લાવવાનો ભાર બાળક પર આવી પડે છે, છતા આ પરિણામ એ મૂળ સમસ્યા નથી. સમસ્યા છે, પ્રેમ અને સમજણનો અભાવ, શિક્ષાત્મક અને શોષણાત્મક વલણ, ખીલવવાને બદલે દબાવવું. આજની ઘણી શાળાઓ પોલિસ ચોકીથી જરાય ઉતરતી નથી અને છાત્રાલયો જેલોથી કમ નથી. તિહાર જેલના મૂળ તો અંહી પડ્યા છે. શિસ્તના નામે બાળપણને પીડાકારી બનાવવામાં કોઇ કસર નથી છોડાતી ભલેને નામ ગમે તેટલા રુપાળા હોય. આજનું બાળક કેમ સમજે કે જીવનમાં યોગ મહત્વનો છે કે તેમા નંબર લાવવો,જરુરીયાતો વધારવી કે ઘટાડવી,સાદાઇ કે ખોટો ભભકો,પીડા દાયક સત્ય કે લોભામણું અસત્ય,નિખાલસતા કે કપટ,પ્રામાણિકતા કે નફો,નિષ્ઠા કે કદમપોશી. આમા બાળક કોઇ સમજણને આરે પંહોચતુ નથી અને પછી જ્યાં સમય અને ભયયુક્ત મન લઇ જાય ત્યાં દોરાતો જાય છે અને એજ ભય સાથે જીવન વીતાવે છે, ઘણા એ ભયનો ફાયદો લે છે એ આપણી વ્યવસ્થા છે. હું પણ આમાનો એક છુ. શાળા થી વધુ પીડા દાયક જગ્યા મેં નથી જોઇ નહિતો મેં પહેલા અલંગમાં મજુરી કરી છે,ફેક્ટરી,દુકાનોમાં કામ કર્યુ છે. મરવાનો ભય મને માત્ર એટલે લાગે છે કે ફરી જન્મ લેવાનું થાય તો ફરી આવા લોકો પાસે ભણવું પડશે, બસ એટલીજ મોક્ષ ની જરુર લાગે છે. મારું બાળક આજ પીડા માંથી પસાર થઇ રહ્યુ છે અને તમારુ પણ. આપણે જાણીએ છીએ પણ આતો સિસ્ટમ છે, કશુ ન થઇ શકે. અણસમજુ મા-બાપ ,શાળા સંચાલકો, આચાર્યો અને શિક્ષકો ના અકડુ વલણો અને ટૂંકો સ્વાર્થ આ સમસ્યાના મૂળ છે. તેમની સિધ્ધીઓ માટે બાળકો શોષાતા રહે છે. આ શોષણ અને હિંસા આપણે કેટલી સુક્ષ્મતાએ જોઇ શકીએ છીએ એ આપણી અનુભવવાની ક્ષમતા અને સમજણ પર આધાર રાખે છે. આ બધુ જો આપણેં બાળકની નજર થી જોતા થશું તો જ આપણે સમસ્યાના હલ સુધી પંહોચશુ અને આવી ક્ષમતા ન હોય તેણે શિક્ષણનું કામ છોડી દેવું જોઇએ, પણ થાય છે એનાથી ઉલટું પરિણામે પરીસ્થિતી એવી સર્જાય છે કે આવ ભાઇ હરખા આપણે બન્ને સરખા. પછીતો આર્થિક, માનસિક,શારિરીક શોષણની પરંપરા સર્જાય છે. જેની જેટલી ત્રેવડ તેટલું તે બેખૌફ લુંટી લે છે. આ બધુ રોજ બને છે સપાટી ની નીચે આપણે જાણીએ છીએ છતા ચૂપ છીએ કારણકે આપણે સામાન્ય,સજ્જન આપણે શાંતી જોઇએ ભાઇ !!!!
‘ખુદાકે વાસ્તે પરદા ન કાબે સે ઉઠા ઝાલિમ,કંહી ઐસા ન હો યાં ભી વહી કાફીર સનમ નીકલે’. –ગાલિબ
Ketan Shukla- 9429315055 –ketan68@gmail.com Home page - mycorner.hpage.com
Blog- grassrooteducation.blogspot.com

No comments:

Post a Comment